![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/mandvi.webp)
યુનો દ્વારા વર્ષ-2023ને ”ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, સમગ્ર રાજ્યમાં ઓકટોબર મહિનામાં તાલુકા કક્ષાએ મિલેટ્સ ઉત્સવની ઉજવણી થઇ રહી છે, જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા માંડવી તાલુકા મથકે નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે તાલુકાકક્ષાના ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તેમજ બે દિવસીય કૃષિ મેળા”ને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ ખુલ્લો મુકયો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ”પહેલુ સુખ તે જાતે નર્યા”. આપણા વડીલો મિલેટ્સ પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, જેથી તેઓ આજે પણ તંદુરસ્ત છે. બાજરી, જુવાર, જવ, રાગી જેવા આપણા ધાન્યો અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી કેન્સર જેવા અસાધ્ય રોગોનુ પ્રમાણ વધ્યું છે, જેથી પ્રાકૃતિક ખેતી અપનાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે બાજરી, જુવાર, રાંગી, બન્ટી-બાવટો, કોદરા, સામો જેવા મિલેટ્સ પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. જેને દૈનિક ખોરાકમાં સામેલ કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
આ સરકાર ખેડુતોના હિતને કેન્દ્રમાં રાખી કાર્ય કરનારી સરકાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન 1.26 લાખ ખેડૂતોને રૂ.30.72કરોડની સહાય ચુકવવામાં આવી છે. સાંસદએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વિગતો આપી હતી. મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે 15 નાણાપંચ હેઠળ માંડવી તાલુકાની ગ્રામ પંચાયતોને પાણીના ૨૨ ટેન્કર અર્પણ તથા ખેતીવાડીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય એનાયત કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહાકાલ, મામલતદાર મનિષભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત, અગ્રણી સર્વશ્રી નિતિનભાઈ શુકલ, નટુભાઈ રબારી, કનુભાઈ, દિનેશભાઈ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.