તાપી જિલ્લાના કુકરમુંડાથી આદિવાસી અધિકાર પદયાત્રાનો પ્રારંભ કરાયો
13મીના રોજ યાત્રા જાહેર સભામાં ફેરવાશે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/આગામી-13-સપ્ટેમ્બરના-રોજ-આદિવાસી-અધિકાર-દિન-નિમિત્તે-આદિવાસી.webp)
તાપીમાં વ્યારા રેફરલ હોસ્પિટલનાં ખાનગીકરણ સહિતના વિવિધ પ્રશ્નોના વિરોધમાં આજે 150 કિમી દૂર જિલ્લાના છેવાડાના કૂકરમુંડાના ઉદમગડીથી આદિવાસીઓ દ્વારા પદયાત્રા નીકળી. જે આગામી 13મી તારીખે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે જિલ્લા મથક વ્યારા ખાતે પહોંચી કલેક્ટર કચેરી પર જાહેર સભામાં ફેરવાશે.
આગામી 13 સપ્ટેમ્બરના રોજ આદિવાસી અધિકાર દિન નિમિત્તે આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા આજથી તાપી જિલ્લાના અલગ અલગ સ્થળેથી આદિવાસી અધિકાર પદયાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમાં છેવાડાના તાલુકા કુકરમુંડાથી તાપી જિલ્લા આદિવાસી વિવિધ સંગઠનોના આગેવાનો અને લોકો દ્વારા આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય મુદ્દાઓ જેવા કે હાલ તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલા જનરલ હોસ્પિટલને ખાનગીકરણથી અટકાવવા માટે તેમજ વ્યારાથી પસાર થતાં નેશનલ હાઈવે 56 બાયપાસ માટે જે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે તેનો વિરોધ તેમજ અન્ય જંગલ જમીનના હકો સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આ આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. જે આગમી 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિનના રોજના વ્યારા ખાતે પહોંચશે અને ત્યાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા એક મોટી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.