સુરતમાં BRTS બસનો કેર, 8 બાઈક સવારોને કચડ્યાં, 2થી વધુના ઘટનાસ્થળે મોત
સુરતમાં ફરી વાર બીઆરટીએસ બસે એક મોટો એક્સિડન્ટ કરીને 8 લોકોને કચડી નાખ્યાં હતા જેમાં 2થી વધુના ઘટનાસ્થળે જ મોત થયાં હતા.
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/surat-780x450.jpg)
- સુરતમાં ફરી વાર કાળ બની BRTS બસ
- બે બસની ટક્કરમાં 8 બાઈકો કચડાયાં
- 2થી વધુના ઘટનાસ્થળે જ મોત
- 15 લોકોથી વધુ ઘાયલ
સુરતમાં BRTS બસે એક મોટો એક્સિડન્ટ કર્યો હતો. કતારગામ વિસ્તારમાં GIDC નજીક આવેલા પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 બાઈક દબાઈ હતી જેમાં 2થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા જ્યારે 15 લોકો ઘાયલ થયાં હતા, ઘાયલોને તાબડતોબ સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર ચાલુ કરી દેવાઈ હતી.
લોકોએ બસમાં તોડફોડ કરી
આ ઘટના બાદ લોકો ખૂબ ગુસ્સે ભરાયાં હતા અંદર અને બહારથી તોડફોડ મચાવી હતી અને કાચ તોડી નાખ્યાં હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા અને આજુબાજુમાં ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ રોષે ભરાવાને લઈ પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાવાના પ્રાથમિક કારણને જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રિક બસના ચાલકે કેવા સંજોગોમાં અકસ્માત સર્જ્યો એ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવા સાથે બસની ઝડપ પણ એકા એક વધી હોય કે પહેલાથી જ વધારે હતી એવા તમામ સવાલો સાથે તપાસ કાર્યવાહી શરુ કરી છે.
2021ના બીઆરટીએસ એક્સિડન્ટની યાદ તાજી થઈ
સુરતમાં બીઆરટીએસ બસના એક્સિડન્ટની ઘટના નવી નથી. અવારનવાર થતાં જ રહે છે. મોટા એક્સિડન્ટની વાત કરીએ તો 2021ની સાલમાં સુરતમાં બીઆરટીએસના એક્સિડન્ટમાં 15થી વધુ લોકોના મોત થયાં હતા. સુરતવાસીઓને ફરી એક વાર આ ઘટનાની યાદ તાજી થઈ છે.