![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/ઉમરપાડા-દિતવણ-ગામે-તળાવમાં-પગ-લપસી-જતા-મોત.webp)
ઉમરપાડા તાલુકાના દિવતણ ગામે ઘાસચારો કાપવા ગયેલા ખેડૂતનો પગ તળાવમાં લપસી જતાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
દિવતણ ગામે રહેતા ખેડૂત મૂળજીભાઈ રતાભાઇ વસાવા ઉંમર વર્ષ 55 ગામની સીમમાં આવેલા તળાવની પાળ ઉપર ઉગેલો ઘાસચારો કાપવા માટે ગયા હતા. ત્યાર બાદ પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ મૂળજીભાઈની શોધખોળ કરી હતી. આ દરમિયાન તળાવની પાળ ઉપરથી ચંપલ અને ઘાસ કાપવાનું દાતરડું મળી આવ્યા હતા. જેથી પરિવારજનો અને મદદે આવેલા અન્ય લોકોએ તળાવના પાણીમાં શોધખોળ કરતા મૂળજીભાઈની લાશ મળી આવી હતી.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ
આ ઘટના અંગે ગામના સરપંચ શિવાજીભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ખેડૂતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. તેમજ પુત્ર મુકેશભાઈ મૂળજીભાઈ વસાવાની અકસ્માતના બનાવ અંગેની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.