આદિવાસી પરંપરાથી અજાણ કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતીને ધરાવવાને બદલે દેશી દારૂનો ઘૂંટડો પી ગયા
કહ્યું: હું તો ચરણામૃત સમજ્યો હતો
![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/Raghavjibhai-in-dediapada.webp)
ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર હતા. આ દરમિયાન આદિવાસી પરંપરાથી અજાણ રાઘવજી પટેલ પૂજા વિધિ કરતાં ધરતીને ધરાવવાનો દારૂ ભૂલથી ઘૂંટડો મારી ગયા હતા. જોકે બાદમાં તેમણે પણ મીડિયા સમક્ષ આ અંગે જણાવ્યું હતું કે મને પરંપરાની ખબર ન હતી એટલે આવું થયું.
પૂજારીએ પાનમાં દેશી દારૂ આપ્યો
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. આ જાહેર કાર્યક્રમમાં આદિવાસી પરંપરા અનુસાર પૂજાવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, જેથી ત્યાં હાજર કૃષિમંત્રી સહિતના નેતાઓ અને સ્થાનિક આગેવાનોને પૂજારીએ એક પાનમાં દેશી દારૂ આપ્યો હતો. આ દારૂ ધરતીને ધરાવવાનો હોય છે, પરંતુ આદિવાસી પરંપરાઓની અજાણ રાઘવજી પટેલને જેવો પાનમાં દારૂ આપવામાં આવ્યો કે તેમણે તરત જ એનો ઘૂંટડો મારી લીધો હતો. જ્યારે તેમની બાજુમાં ઊભેલા નેતાઓએ એ દારૂ વિધિ અનુસાર જ ધરતી પર ધરાવી દીધો હતો. ત્યાર બાદ બાજુમાં ઊભેલી વ્યક્તિએ મંત્રીને કહ્યું હતું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી.
હું આ વિધિથી અજાણ હતો
આ અંગે રાઘવજી પટેલે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીની વિધિઓ અને રિવાજોથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃતને હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું.
શા માટે થાય છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેની પ્રથમ બેઠક એ જ વર્ષની 9 ઓગસ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયું હતું, જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગસ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઊજવવાની ઘોષણા કરી હતી.
બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો
વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ પર એક નજર કરી તો… આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઇ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થતા હતા.
વેગડ ભીલે સોમનાથ મંદિર બચાવવા શહીદી વહોરી
એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા ભીલે મદદ કરી શહીદી વહોરી હતી અને મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઇઓએ જ મદદનો હાથ આપ્યો હતો. તો રામને લંકા વિજય દરમિયાન ડાંગમાં રાજાઓના પગપેસારાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ફાળો મહત્ત્વનો છે. ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયકશ્રી ગોવિંદગુરુ સાથે મળી અંગ્રેજોને ધૂળ ચાટતા કર્યા હતાં.