વારંવાર બનતી ઘટના છતાં બેદરકાર તંત્ર: વાલોડના કૉઝવેનું સતત ત્રીજા વર્ષે પણ ધોવાણ
કૉઝવેનું ધોવાણ થતાં મરામત કરવામાં આવ્યું પરંતુ તેમાં અખાડા કર્યા
![](http://transparencynews.in/wp-content/uploads/2023/07/વાલોડ-કોઝવે.webp)
- વાલોડની પ્રજા છેલ્લા ચાર વર્ષથી કાગડોળે મરામતની રાહ જોતા બેઠા છે
વાલોડ ગામનો ચેકડેમ કમ કૉઝવે એક છેડે ધોવાણ તથા ચેક ડેમના પાંચ થી છ પિલર ધોવાઈ ગયા છે. છતાં તંત્રની ઉંઘ ઉડતી નથી. અને આ અંગે ધ્યાન આપવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. વાલ્મીકિ નદી પર વાલોડ અને સમર ચાલીને જોડતો ચેકડેમ કમ કોઝવે હાલમાં જજૅરીત હાલતમાં છે. અને આ ચેકડેમના સાત પાયા ધોવાયા ગયા છે અને અવરજવર કરવાનો સ્લેબ હતા એ પણ કેટલાક સ્થળે ધોવાય ગયા છે. આ અંગે દર ચોમાસે વારંવાર તંત્રને ચેતવવામાં આવે છે. પરંતુ અધિકારીઓ માત્ર સ્થળ પર આવી તપાસ કરી જતા રહ્યા બાદ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
હાલમાં મેઘરાજા મન મૂકીને વર્ષી ગયો અને તેના લીધે નદીમાં ઘોડાપુર આવતા તંત્રની પોલ આપોઆપ ખુલી ગઈ છે. કોઝવે પર વાલોડ તરફનો એક તરફનો ભાગ ધોવાણ થતા મોટો ખાડો પડી ગયો છે. આ ખાડાને કારણે લોકો જોખમ ખેડી કોઝવે પર અવર જવર કરી રહ્યા છે. વાલોડ સામરચાલી એક તથા બેે, બહેજ, કુંભિયા, કોસંબીયાના લોકોનો માટે આ ટૂંકો અને સીધો માર્ગ છે. આ રસ્તા પરથી કોલેજ, શાળામાં ભણતા બાળકો, ગામમાં પાપડ કેન્દ્ર પર પાપડ લેવા, સ્મશાને જવા, દવાખાને જવા ટૂકો માર્ગ છે. જે જાહેર જીવનમાં ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે.
અને હાલ ધોવાણ થતાં હાલત દરે વર્ષ કરતાં આ વખતે ગંભીર બની છે. વાલોડ નગર માટે ચેકડેમની જરૂરિયાત હોવા છંતા તંત્રએ મરામત અંગેનું મુહૂર્ત કાઢયુ નથી. વાલોડ ચેકડેમની સાથે કોઝવે પણ છે જેનું ધોવાણ થશે તો લોકોની અવરજવર બંધ થઇ જશે. ચેકડેમ ધોવાતા તંત્ર પોતાનો ભાર ઉતારવા માટે અવર જવર બંધ કરાવી દેશે, પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે નહીં અને ચારથી પાંચ કી.મી.નો ફેરાવો ખાવો પડશે.
ધોવાણ થતા લોકોને અગવડ
સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ “કોઝવે પરથી લોકોને પસાર થવું હાલમાં કઠિન છે. હાલ ચેકડેમ ધોવાણ થતા લોકોને અગવડ પડી રહી છે. આ કોઝવે અમારા માટે ટૂંકો અને સરળ માર્ગ હતો, પરંતુ આજદિન સુધી કોઝવેની યોગ્ય મરામત કરવામાં આવી નથી.”ચેક ડેમના સમારકામની ખાસ જરૂર
બિલાલ શેખના જણાવ્યા મુજબ ખેડૂતો માટે આ કોઝવે આશીર્વાદરૂપ છે. ભરઉનાળે પાણીની તંગી આજદિન સુધી પડી નથી. કોઝવેને ટકાવવો હોય તો સમારકામની ખાસ જરૂર છે. અમો ખેડૂતો દ્વારા પણ નાનામોટા કામો કરવામાં આવે છે. પણ તંત્ર ધ્યાન આપતું નથી અને અમે તંત્ર કામ કરે તે માટે કાગડોળે રાહ જોઇ રહ્યા છે.