![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/tapi-sugar.webp)
છેલ્લાં 18 વર્ષથી બંધ પડેલ વ્યારા સુગરને તાપી સુરત જિલ્લાનાં સહકારી આગેવાનો અને ગુજરાત સરકારના સહયોગથી ફરી આજે જીવંત કરવામાં આવી છે. દિવાળીનાં પવન પર્વ નિમિતે વ્યારા સુગર ફેક્ટરીમાં રાજ્ય સરકારનાં મંત્રી મુકેશભાઇ પટેલ સહિત મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં હસ્તે પિલાણની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં મંત્રી મુકેશભાઇ પટેલ જણાવ્યું હતું કે મારા પ્રભારી મંત્રી બન્યાં બાદ સુગર શરૂ કરવાની સરકારમાં રજૂઆત કરવામાં આવી અને સરકારના 30 કરોડનાં સહયોગ બાદ આજે સુગર ફેકટરી શરૂ થઈ છે.
તાપી જિલ્લાનાં ખેડૂતનો જીવાદોરી ગણાતી શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. જે વર્ષોથી બંધ હતી તે સુગર ફેકટરીને ફરી શરૂ કરી વર્તમાન વર્ષનું પિલાણ કરવાની શરૂઆત તાપી જિલ્લાના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ સહિત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિનાં હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે તાપી જિલ્લાવાસીઓને ભૂતકાળની જેમ આવનાર દિવસોમાં વ્યારા સુગર ફેક્ટરી ધમધમતી જોવા મળશે.
આ પ્રસંગે રાજ્યનાં આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સુગર ફેકટરી શરૂ થઈ છે હવે લોકોએ વિશ્વાસ મુકવો પડશે આ વિસ્તારમાં ખેડૂતોની શેરડી પહેલા લૂંટાઈ હતી ઘર પરિવારનાં ચાલે તેવા ભાવ મળતા હતા હવે તેવા દિવસ ગયા.
રાજ્યનાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહકારથી આજે વ્યારા સુગરને સરકાર દ્વારા ૩૦ કરોડની રકમ ફાળવીને જીવંત કરવામાં આવી છે ત્યારે આપણે સરકારનો આભાર માનવો જોઈએ તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સુગરનાં વાઇસ ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ અને આભાર વિધિ વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકણી દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સુગરનાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં