![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/તાલુકા-પંચાયત-માંડવી.webp)
માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગત રોજ વિરોધપક્ષના સભ્યો દ્વારા વિરોધપક્ષના સભ્યોને અન્યાય કરવા ઉપરાંત શાસકપક્ષ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવાના આક્ષેપો સાથે વોક આઉટનો નિર્ણય લઈ વિરોધપક્ષના હાજર તમામ સભ્યો સૂત્રોચ્ચાર સાથે સામાન્ય સભામાંથી નીકળી ગયા હતા.
મળતી માહિતી અનુસાર માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યસૂચિના પાંચ કામો સાથે સામાન્ય સભા મળી હતી. જે સભામાં વિરોધપક્ષ દ્વારા 2024-25ના 15માં નાણાપંચનું તાલુકા કક્ષાના 20 ટકા આયોજન મંજૂરી બાબતે વિરોધ કર્યો હતો. જે બાબતે વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે, શાસકપક્ષના 15 તથા વિરોધપક્ષના 9 સભ્યો ચૂંટાયેલા છે. જેમાં વિરોધપક્ષના તમામ સભ્યોને 20 ટકા તાલુકા કક્ષાનું આયોજનમાંથી બાકાત રખાયા છે. વહીવટી પ્રક્રિયાના અમલ વગર જ 15મું નાણાપંચના 3 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ચોરંબામાં બે આવાસો બનાવ્યા વગર જ કામ પૂર્ણ બતાવી નાણાં ઉપાડી લેવામાં આવ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતાં.
માંડવી તાલુકા પંચાયતની સામાન્યસભાનું વાતાવરણ ગરમાયું હતું
તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, આયોજન સમિતીના તમામ અપેક્ષિત સભ્યોની હાજરીમાં તાલુકાના તમામ સરપંચોની હાજરીમાં 15મા નાણાપંચના 20 ટકા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ચોરંબા આવાસ બાબતે અધિકારીએ સ્થળ તપાસ કરી સામાન્યસભા પૂર્ણ થતા દિન પાંચમાં રીપોર્ટ આપવાની ખાત્રી આપી હતી. આમ માંડવી તાલુકા પંચાયતની સામાન્યસભાનું વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ વિરોધપક્ષ વોક આઉટ કરી સામાન્યસભા છોડી સૂત્રોચ્ચાર સાથે રવાના થયા હતાં.