નાંદોદના 10 ગામના 81 ખેડૂતોને 14 વર્ષ પછી જમીન વળતર મળ્યું!

નાંદોદ તાલુકાના 10 ગામના આશરે 80થી વધારે ખેડૂતો જમીનના વળતર માટે રજૂઆતો કરી રહ્યા હતા. ત્યારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની રજૂઆત બાદ એ તમામ ખેડૂતોને 14 વર્ષે જમીનનું વળતર મળ્યું છે.
નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જણાવ્યું કે, નાંદોદ અને ગરુડેશ્વર વિસ્તારના ખેડુતોને સિંચાઈ માટે પાણીની તક્લીફ ન પડે એ માટે સરકારે કરજણ જળાશય જમણા કાંઠા હાઈ લેવલ રિચાર્જ કેનાલ બનાવી હતી. એનાથી પાણીની સમસ્યા તો હલ થઈ પણ કેનાલ બનાવવા જે ખેડૂતોની જમીન ગઈ એનું વળતર ખેડૂતોને મળ્યું ન હતું.
ખેડૂતો છેલ્લાં વાવડી, મોટા રાયપરા, વેલછંડી, જુનવદ, સમારીયા, શાકવા, મોટાઆંબા, ઉંમરવા જોષી, ભીલવશી અને ગોરા ગામના ખેડૂતો પોતાની જમીનનું વળતર મેળવવા માટે અનેક વાર રજૂઆતો અને આંદોલન પણ કરી ચૂક્યા છે. અંતે ખેડૂતોએ નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને રજૂઆત કરતા દર્શનાબેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી કુંવરજી બાવળિયાને રૂબરૂ મળી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અંતે સરકારે એ તમામ 81 ખેડૂતોને મળીને 8 કરોડ રૂપિયા જમીનનું વળતર ચુકવવા નિર્ણય કર્યો હતો.
રાજપીપળા સ્થિત કરજણ સિંચાઈની કચેરી ખાતે નાંદોદ ધારાસભ્ય ડો.દેશમુખે તમામ ખેડૂતોને જમીનની વળતરના ચેકનું વિતરણ કર્યું હતું. આમ આજે 14 વર્ષે ખેડૂતોના વણઉકલેલા પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું.




