
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રાનપાડા ગામના ગ્રામજનોને પીવા અને દૈનિક વપરાશ માટે પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોએ આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવા માટે કલેક્ટરને સંબોધીને મામલતદાર પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
રાનપાડા ગામમાં આશરે ૧૨૭ ઘરોમાં ૬૦૦થી વધુ લોકો રહે છે. ગામમાં પાણીનો પુરવઠો “ખોલ્યાવહળ” નામની જગ્યાએ આવેલા એક કૂવા અને જામનીના ઉતારા પાસેના બીજા કૂવા દ્વારા થાય છે. આ કૂવાઓમાંથી પાણી ટાંકી સુધી પહોંચાડવા માટે મોટરનો ઉપયોગ થાય છે. જો કે, ગામના કેટલાક લોકોએ આ કૂવાઓમાં ખાનગી મોટરો લગાવી દીધી છે, જેના કારણે સાર્વજનિક પાણી પુરવઠો ઘટી ગયો છે.
અન્યાયી ઉપયોગ અને ગેરકાયદે કનેક્શન
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સુનિતાબેન ગાવિત, શુકરીયાભાઈ ચૌર્યા, મોહનભાઈ ગાવિત, બાબુરાવભાઈ બંગાળ, રતિલાલ ધૂમ, કાંતિલાલભાઈ વળવી અને પ્રદિપભાઈ ગાયકવાડ જેવા લોકોએ કૂવાઓમાં ખાનગી મોટરો લગાવીને પાણીનો અંગત અને ખેતી માટે દુરુપયોગ કર્યો છે. આ ઉપરાંત, મેઇન સપ્લાય લાઇનમાં ગંગાભાઈ બંગાળ, લહાનુભાઈ દળવી, બુધ્યાભાઈ દળવી અને પરસુભાઈ દેશમુખે ગેરકાયદે કનેક્શન કર્યા હોવાથી ટાંકી અને ઘરગથ્થુ ચકલી કનેક્શનમાં પાણી પહોંચતું નથી.
ગ્રામજનોની માંગ
ગ્રામજનોએ માંગ કરી છે કે:
- ખાનગી મોટરો અને ગેરકાયદે કનેક્શન તાત્કાલિક દૂર કરવા.
- દોષિતો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવી.
- કૂવાઓમાં પાણીનો પુરવઠો સુધારવા અને જરૂરિયાત હોય તો ટેન્કર દ્વારા પાણી મોકલવું.
જો ૭ દિવની અંદર કોઈ પગલું ન લેવાય, તો ગ્રામજનો ગાંધીજીના આંદોલનના માર્ગે ઊતરશે અને તેની જવાબદારી અધિકારીઓની રહેશે, એવી ચેતવણી આપવામાં આવી છે.
વહીવટી તંત્ર તરફથી પ્રતિભાવની રાહ
ગ્રામજનોની ફરિયાદ અને માંગ સાંભળીને તાલુકા અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જલદ કાર્યવાહી થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





