પિપલ્યામાળના સસ્તા અનાજના દુકાનદારે ગોડાઉનમાં ફાંસો ખાધો

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના પિપલ્યામાળ ગામમાં સસ્તા અનાજની દુકાનની તપાસણી માટે મામલતદાર અને તેમનો સ્ટાફ આવ્યો હતો ત્યારે સસ્તા અનાજના દુકાનદારે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવતા તપાસનો વિષય બન્યો છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પિપલ્યામાળ ગામમાં સાલેમભાઈ સીતારામ ગાવિત પાસે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ હોય તેઓ આ સસ્તા અનાજની દુકાન છેલ્લા પાંચેક વર્ષથી ચલાવતા હતા. શુક્રવારે આહવા તાલુકાનાં પુરવઠા મામલતદાર અને તેમનો સ્ટાફ સસ્તા અનાજની દુકાનમાં ચકાસણી કરવા માટે આવ્યા હતા. જે બાદ અહી પુરવઠા મામલતદારે સાલેમને સસ્તા અનાજની દુકાનના બે-ચાર ગ્રાહકોને બોલાવી લાવવા કહ્યું હતુ. જેથી સાલેમભાઈ ગાવિત ગ્રાહકને બોલાવવા ગયો હતો અને પુરવઠા મામલતદાર દુકાનનો રેકોર્ડ જોઈ રહ્યા હતા. બાદમાં ઘણો સમય વિતી ગયો હોવા છતાં પણ દુકાનદાર સાલેમભાઈ નહીં આવતા મામલતદારે સસ્તા અનાજનાં ગોડાઉનનો દરવાજો ખોલીને જોતા સાલેમભાઈ માલ મુકવાના ગોડાઉનમાં (રૂમમાં) આવેલ માળિયાના લાકડા સાથે નાયલોનની દોરડાથી ફાંસો ખાઇ લીધો હતો. જે બાદ પુરવઠા મામલતદારે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આહવા સિવિલના ડોક્ટરોએ સાલેમભાઈને મૃત જાહેર કર્યો હતો.




