અમદાવાદમાં કોરોના વકર્યો! શહેરમાંથી કોરોના વાયરસના છ નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 12 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે શહેરમાંથી વધુ છ એક્ટિવ કેસ નોંધાયા છે. હવે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 12 પર પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષ કોરોના સંક્રમિત થયા છે. જે છ દર્દી કોરોનાથી સંક્રમિત થયા છે તે નવરંગપુરા, નારણપુરા અને સરખેજના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ તંત્ર એલર્ટ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાને લઈ સતર્કતા દાખવામાં આવી રહી છે. આગામી 24 થી 48 કલાકમાં વોર્ડ ઉભો કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના નવા વેરીઅન્ટ માટે રાજ્ય સરકારની સૂચના બાદ સરકારી હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સિવિલ દ્વારા કોરોનાથી લડવા માટે 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક, 650 કન્સ્ટ્રેટર તૈયાર રાખવા માટે વિભાગીય વડાઓને સુચના, 300 ICU બેડની વ્યવસ્થા આગામી 24 થી 48 કલાકમાં કરવાની સૂચના આપવામાં આવી છે, 500 વેન્ટિલેટર જેટલા બેડ તૈયાર રાખવા સૂચના અપાય છે અને 5300 લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા સાત ઓક્સિજન પ્લાન્ટ તૈયાર રાખવાનો આદેશ કરાયો છે.




