સ્મશાન તરફ જતાં રસ્તા પર બ્રિજના અભાવે અંતિમ યાત્રા નદીના પાણીમાંથી નીકળી
ઉકાઈ નજીક પાથરડા ગામની કહાની

ઉકાઈ ડેમ નજીક પાથરડા ગામમાંથી પસાર થતી નદીના સામે પાર સ્મશાન તરફ જવા બ્રિજ ન હોવાથી અંતિમ યાત્રા નદીના પાણી માંથી કાઢવી પડે છે.
મંગળવારે આદિમ જૂથ સમાજના એક ઈસમની અંતિમ યાત્રા આ જ રીતે વહેતાં પાણીમાંથી નીકળી હતી. સોનગઢના પાથરડા ગામ પાસેથી નદી વહે છે. નદીમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં વપરાશમાં લીધેલું પાણી ફરી વખત છોડાતુ હોય બારે માસ પાણી વહેતું જ હોય છે. આ ગામમાં ખાસ કરીને આદિમ જૂથના ગણાતાં કોટવાળીયા અને કાથુંડ જાતિના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને એમનું સ્મશાન ગૃહ નદીના સામે પાર આવેલું છે. સ્થાનિકો ઘણાં સમયથી સ્મશાન તરફ જતાં રસ્તા પર આવતી નદી પર બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યાં છે .
ગામમાં જ્યારે પણ કોઈના મૃત્યુનો બનાવ નોંધાઇ છે ત્યારે તેમની અંતિમ યાત્રા સ્મશાન સુધી પહોંચવા માટે નદીના પાણીમાં થઇને જ નીકળતી હોય છે. મંગળવારે પણ ગામમાં રહેતાં ચંપકભાઈ કોટવાળીયાનું અવસાન થયું હતું અને તેમની અંતિમ યાત્રા પણ નદીના વહેતાં પાણીમાં થઈને નીકળી હતી અને ઘણી મુસીબત બાદ સ્મશાન સુધી પહોંચી હતી. રાજ્ય સરકાર આદિમ જૂથના લોકોની ઘણી ચિંતા કરે છે એવી જાહેરાત થાય છે ત્યારે પાથરડા ગામના નદીના સામે પાર આવેલાં સ્મશાન તરફ જવાના રસ્તા પર બ્રિજ ક્યારે બનશે એ જોવું રહ્યું.આ સમસ્યા બાબતે અગાઉ પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પણ પરિણામ શૂન્ય રહ્યું છે.




