ડોલવણના યુવકની હત્યા તેના જ પરપ્રાંતીય મિત્રએ ફિલ્મી ચર્ચાના ઝઘડામાં ગળુ દબાવીને કર્યાનો કોયડો ઉકેલાયો

ડોલવણ ચારરસ્તાનો 24 વર્ષિય યુવકની હત્યા પ્રકરણમાં તેનો પર પ્રાંતીય મિત્રએ જ ગળુ દબાવી હત્યા કરી હોવાનું રહસ્ય પાંચ દિવસ બાદ ખૂલ્યું છે. અંકુર ચૌધરી અને એના પર પ્રાંતીય મિત્ર વચ્ચે કોઈ ફિલ્મ મુદ્દે રક જક થઈ હતી. યુવક ગુસ્સામાં હોય મિત્રને કોઇ કામ હોય તો જ પોતાની પાસે આવતો હોવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પર પ્રાંતીય યુવકે ગળુ દબાવી દેતા જીભ બહાર આવી જતા,ધક્કો મારતા ટેબલ વાગવાથી નીચે પડી ગયો હતો, ત્યારબાદ હત્યારો ભાગી ગયો હતો. પોલીસ તપાસ કરતા આખર પાંચ દિવસે ગુનો ઉકેલાયો હતો.
ગત તા.૧૩/૦૩/૨૦૨૪ ના રોજ અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી (ઉ.વ.૨૪) (રહે.ડોલવણ ચાર રસ્તા પાસે તા.ડોલવણ જી.તાપી)ની હત્યા થઈ હતી. જે ઘટનામાં જિલ્લાની પોલીસ સી.સી.ટીવી કેમેરા, મોબાઈલ ડેટા, ખાનગી બાતમીદારો આધારે તપાસ દરમિયાન હત્યા થયેલ અંકુર ચૌધરીનો મિત્ર દીશીલ રાજુભાઇ ખટીક (ઉ.વ.૧૯)(હાલ રહે. આકાશ કોમ્પલેક્ષ ડોલવણ ચાર રસ્તા પાસે તા.ડોલવણ જી.તાપી, મુળ રહે.ગામ-ગુંજોલ ખટીક મહોલ્લા તા.નાથદ્વારા જી.રાજસમદ રાજસ્થાન) હોવાનુ બહાર આવતા, પૂછપરછ કરતાં, હત્યાનો ગુનો કબૂલ્યો હતો. હત્યા પાછળનું કારણમાં અંકિત અને દિશિથ ઘટનાને દિવસ ત્રણ કલાક સાથે જ હતા.
આ દરમિયાન કોઈ ફિલ્મ બાબતે ચર્ચા થઈ હતી, જે બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં દીશીલને કોઇ કામ હોય તો જ પોતાની પાસે આવતો હોવાનું કહી અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી ગુસ્સામાં ગાળો આપવા લાગ્યો હતો. જેથી ગાળ આપવાની દીશીલે ના પાડતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. દીશીલે અંકુરના ગળાના ભાગે પકડી લીધો હતો.
આ દરમિયાન અંકુરની જીભ બહાર નીકળવા લાગતા દીશીલે તેને ધક્કો માર્યો હતો. અંકુર ત્યાં મુકેલ ટેબલ સાથે અથડાય નીચે પડતા મોત નિપજ્યુ હોવાનું તપાસમાં ખુલ્યુ છે. ઘટના બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ગુનાને ડીટેક્ટ કરવા એલ.સી.બી. તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એસ.ઓ.જી. તાપીના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ડોલવણ ગામમાં પોલીસ પ્રત્યે ભારે નારાજગી પ્રવર્તી હતી, રોષ સાથે ગ્રામજનો રાત્રે પોલીસ સ્ટેશને પહોંચી જઈ જેનું કારણમાં ગ્રામજનોએ આરોપીને જોવાની જીદ કરી હતી અને અમુક લોકોને પોલીસે ઘટનાની તપાસમાં ઘણી કડકાઈ કરી હતી, જ્યારે અમુકને ઢીલ આપતા હોવાના આક્ષેપ કર્યા હતા. મંગળવારના રોજ ડોલવણ ગામ બંધનું એલાન આપી સ્થાનિકોએ ત્યાં રહેતા પરપ્રાંતીયો સામે આક્રોશ ઠાલવ્યો હતો બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ યેનકેન પ્રકારે મામલો શાંત પાડ્યો હતો અને ગ્રામજનોની ગેરસમજ દૂર કરી હતી.




