માંડવી

માંડવીના તડકેશ્વર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે જળસંચયના કામોનો શુભારંભ

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના 587 ગામોમાં રૂ.10.43 કરોડના ખર્ચે 2031 જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ કરાયો હતો. મંત્રીએ રેઈન વોટર હાર્વેસ્ટિગના ડિજીટલ મોનિટરીંગ ડેશ બોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તથા સાંસદ પ્રભુ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જળસંચય અભિયાન હેઠળ બોર-કુવા રિચાર્જ અને રિચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણિને સંગ્રહ કરવાના કાર્યનો પ્રારંભ પ્રથમ સુરત જિલ્લામાંથી થઇ રહ્યો છે. જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટુ જનઅભિયાન બનશે એમ જણાવી ‘જળસંચય અને જનભાગીદારી’ હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી આપણે પાણી મેળવવા બોર કરતા હતા, પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઇને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડ્યું છે. સમગ્ર રાજ્યમાં 2,48,00થી વધુ બોરના કામો હાથ ધરાશે. જિલ્લામાં 1500 બોરનું કામ 20 દિવસમાં પૂર્ણ થશે. આ કાર્યમાં સુમુલ ડેરી પણ 1200 બોર રિચાર્જ કરીને અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કડોદરાની ઈન્ડસ્ટ્રીઝ પણ મોટી સંખ્યામાં રિચાર્જિગના કાર્યમાં જોડાશે તેનો પણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 100 એમ એમ વરસાદ પડે તો પણ 14/45ના મકાન દ્વારા એક લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે. દરેક પદાધિકારીઓને પોતાના ઘરથી જળસંચયના અભિયાનની શરૂઆત કરવાની અપીલ મંત્રીએ કરી હતી.

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંચાઈ, ઔદ્યોગિક તેમજ ઘરવપરાશ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળને ઉંચુ લાવવાનું આ અભિયાન આગામી દિવસોમાં સાર્વત્રિક જનઅભિયાન બનશે. જેમાં જોડાઈને સૌએ ઘરે-ઘર બોર રિચાર્જિગ કરવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે, કુદરત તરફથી મળતા ભેટસ્વરૂપ વરસાદી પાણીનો યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરી તેને ભૂગર્ભમાં ઉતારી માવજત કરવામાં આવે તો જળસંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે. ‘જળસંચય ઝુંબેશ’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

Related Articles

Back to top button