નસવાડીમાં સસ્તા અનાજની દુકાનમાં જથ્થો મૂકવાની જગ્યાએ બીજા મકાનમાં મુકતા અધિકારી ચોંક્યા, દુકાન સિલ
લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનને પુરવઠા નાયબ મામલતદારે માર્યું સીલ

નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે સસ્તા અનાજ સંચાલક ઓછું અનાજ આપતા સરપંચે સમગ્ર વિડીયો બનાવી વાયરલ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને પુરવઠા નાયબ મામલતદાર સસ્તા અનાજની દુકાન ઉપર પહોંચી લોકોના જવાબ લીધા હતા. જયારે પુરવઠા અધિકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની તપાસ કરવા જતા ત્યાં અનાજનો જથ્થો ના મળતા દુકાનદારને પૂછતાં તેઓ બીજી જગ્યા ઉપર અનાજનો જથ્થો મુક્યો હોવાનું જણાવતા પુરવઠા અધિકારી પણ ચોકી ઉઠ્યા હતા. વગર પરમિશને જથ્થો બીજી જગ્યા ઉપર મુકવામાં આવતા પુરવઠા નાયબ મામલતદારે અનાજના જથ્થાને સીલ મારી દીધુ હતું અને સમગ્ર અહેવાલ તૈયાર કરી જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપ્યો છે . જયારે અનાજનો જથ્થો સીલ થતા રેશનકાર્ડ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે . આને કારણે કેટલાક રેશનકાર્ડ ગ્રાહકોને જથ્થો હજુ મળ્યો નથી અને જથ્થો ક્યાંથી મેળવવો તે પણ અધિકારીઓએ હજુ સુધી જણાવ્યું નથી. જયારે આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકો રેશનકાર્ડના અનાજના જથ્થા ઉપર ઘર ચલાવતા હોય છે અને તેમાં પણ સસ્તા અનાજ સંચાલકો અનાજમાં કટકી કરી વેપારીઓને વહેચી નાખતા હોય છે અને ત્યાર બાદ અધિકારીઓ દુકાનોની મુલાકાત લેતા હોય છે. જો અધિકારીઓ પહેલાથી સતર્ક રહી સસ્તા અનાજની દુકાનોની વિઝીટ કરે તો ગરીબ લોકોને પૂરેપૂરું અનાજ મળી રહે. પરંતુ અધિકારીઓ ઓફિસોમાં બેઠા બેઠા વહીવટ કરતા હોવાથી સસ્તા અનાજ સંચાલકોને મોકળું મેદાન મળી જતું હોય છે. હાલ તો પુરવઠા વિભાગના અધિકારીઓ અનાજનો જથ્થો સીલ મારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જયારે વહેલી તકે બાકી રહી ગયેલા રેશનકાર્ડ ગ્રાહકોને બીજી અન્ય દુકાનોમાંથી અથવા અન્ય વ્યવસ્થા ઉભી કરી અનાજનો જથ્થો અપાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.




