વ્યારા રેલ્વે સ્ટેશનને એકપણ નવી ટ્રેનનું સ્ટોપેજ ન અપાતા રોષ
ટ્રેનના સ્ટોપેજ આપવા રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલા રેલ્વે સ્ટેશન પર જિલ્લો બન્યા બાદ હાલ સુધી એક પણ ટ્રેનના સ્ટોપેજ ન મળતા રેલવે સ્ટેશનનો ઉપયોગ કરતા જિલ્લા વાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ દ્વારા રેલવે મંત્રી દર્શના જરદોશને રજૂઆત કરી તાપી જિલ્લાના વ્યારા રેલવે સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ મળે એ માટે માંગ કરવામાં આવી છે.
તાપી જિલ્લો બન્યો ત્યારથી વ્યારાને એકપણ નવી ટ્રેનનું સ્ટોપેજ મળ્યું નથી. કેટલીક ટ્રેનોનાં સ્ટોપેજ હાલમાં વ્યારા કરતા પણ નાના સ્ટેશન છે એવા મહારાષ્ટ્રના દોંડાઇચા તથા નવાપુર રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહે છે. જ્યારે વ્યારા તો તાપી જિલ્લાનું વડુંમથક છે. અહી નજીકમાં કેન્દ્ર સરકારના તાબા હેઠળનું કાકરાપાર અણુમથક આવેલું છે. અનેક પરપ્રાંતની વસ્તી વધી રહી છે. અનેકવાર રજૂઆત કરી છતાં ડીઆરએમ, સાંસદ લેવલે રજૂઆત કરી છતાં સ્ટોપેજ મળતું નથી.
ખાનદેશ એક્સપ્રેસ, અમદાવાદ-બરૌની એક્સપ્રેસ, ઉધના-દાનાપુર, હમસફર એક્સપ્રેસ બાંદ્રા-સહરસા, અજમેર-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા-પટના સુપરફાસ્ટ એક્સપ્રેસ, પ્રેરણા એક્સપ્રેસ વગેરે ટ્રેનનાં સ્ટોપેજ અપાવવા તાપી જિલ્લા ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ હિતેન્દ્રભાઇ ઉપાધ્યાય અને વિનોદભાઈ મિશ્રા એ દ્વારા રેલવેનાં રાજ્ય કક્ષા મંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરાઈ છે.




