માંડવી સુગરના શેરડી અને ટ્રાન્સપોર્ટરોના નાણાં ન મળે ત્યાં સુધી અસહકાર આંદોલન કરવાના ઠેર-ઠેર બેનરો લાગ્યા

માંડવી સુગર મિલ પ્રાઈવેટ કંપનીને વેંચી દેવાતા ખેડૂતોની શેરડીના પૈસા અને ટ્રાન્સપોર્ટરોના રૂપિયા આપવામાં નહિ આવે ત્યાં સુધી ખેડૂતો દ્વારા ”અસહકાર આંદોલન” કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
માંડવી સુગરના વિકાસને જાણે ગ્રહણ લાગ્યું હોઈ એમ સભાસદોની જાણ વગર સહકારી માળખાને પ્રાઈવેટ કંપનીને સુગરને નજીવા ભાવે વેંચી ખેડૂત અને ટ્રાન્સપોર્ટરો સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે. જેના પરિણામે ખેડૂતોના શેરડીના અને ટ્રાન્સપોર્ટરોના કરોડો રૂપિયા ચૂકવવાના બાકી હોઈ હવે ખેડૂતો આકરાપાણી એ દેખાય રહ્યા છે. ગતદિવસોમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા માંડવી સુગરને લઈને ”માંડવી સુગર ખેડૂત અધિકારી સમિતિ” ની રચના થઈ હતી. આ કમિટી દ્વારા સરકાર ને ત્રણ મુખ્ય માંગો મુકવામાં આવી હતી. ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો ના પરસેવાના રૂપિયા ચુકવવામાં આવે, માંડવી સહકારી સુગરનું પ્રાયવેટિકરણ અટકાવવામાં આવે અને સુગર બેઠી કરવામાં આવે છે. વેંચી દેવામાં આવેલ કંપની સામે માંડવી સુગરના ખેડૂતોએ ” અસહકાર આંદોલન” ના મંડાણ કરી દીધા છે. ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા તાપી, નર્મદા, ભરૂચ અને સુગર જિલ્લાના આશરે 25 જેટલા તાલુકાઓમાં અસહકાર આંદોલનની શરૂઆત પેટે બેનરો લગાવી શેરડીઓ ખાનગી કંપનીના સુગરને ન આપવા ખેડૂતો ને અપીલ કરી છે. જ્યાં ઠેર ઠેર બેનરો લગાવી ખેડૂતોને આ આંદોલનમાં જોડાવા અને આ પ્રાઈવેટ સુગરને શેરડી ન આપી આંદોલનને સમર્થન આપવા માંગ કરાઈ છે. વ્યારા સુગર ખાતે મોટા ખર્ચે ખેડૂત સંમેલન યોજાવા જઇ રહ્યું છે. ત્યારે 25 જેટલા તાલુકા ઓમાંથી ખેડૂતો દ્વારા સરકારની પ્રાયવેટિકરણ નીતિ સામે વિરોધ ઉભો થવા પામેલ છે. જો આ ખેડૂતો અને ટ્રાન્સપોર્ટેરોની માંગો પુરી કરવામાં ન આવશે તો ચોક્કસ પણે આ આંદોલનની અસર થશે. જો સફાળી સરકાર જાગે તો ધરતીના તાત ને તેમના મહેનત ના રૂપિયા અને સુગરનો તેમનો હક અપાવી શકે છે.




