મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોણ બનશે CM?

કેમ નામ જાહેર નથી કરી રહ્યું BJP?

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના મુખ્યમંત્રી હોવાના મુદ્દા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે, સરકારમાં બે મહત્ત્વપૂર્ણ અને તાકતવર પદો પર અજિત પવાર અને એકનાથ શિંદે પણ છે. આ બન્ને નેતાઓ મરાઠા સમુદાયમાંથી આવે છે.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાની બાબત પણ મહાયુતિ અને ભાજપની આંતરિક રાજનીતિના કારણે લાંબો સમય લઈ રહી છે. જો કે, મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવામાં આવી છે, પરંતુ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે દિલ્હીમાં મહાયુતિના નેતાઓની બેઠકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી અને શિવસેના-એનસીપીમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલાને પણ મંજૂરી આપવામાં આવી છે.

ભાજપ દ્વારા સંઘ સમક્ષ કેટલાક અન્ય મુદ્દાઓ અને નામો મૂક્યા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના નામ પર સમજૂતીના સમાચાર વચ્ચે હવે નવો વળાંક આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ચર્ચાઓ વચ્ચે ભાજપ દ્વારા સંઘ સમક્ષ કેટલાક વધુ મુદ્દાઓ અને નામો મૂકવામાં આવ્યા છે. તેમજ નવા મુખ્યમંત્રીની પસંદગી અને જ્ઞાતિના સમીકરણોના આધારે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓને લઈને ભાજપની અંદર ચાલી રહેલી ખેંચતાણથી RSS નારાજ હોવાનું કહેવાય છે.

ફડણવીસના નેતૃત્વને લઈને RSSની પહેલેથી જ લીલી ઝંડી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને પ્રચંડ જીત અપાવનાર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વને આરએસએસ પહેલેથી જ લીલી ઝંડી આપી ચૂક્યું છે. કારણ કે ફડણવીસના પરિવારનો સંઘ, જનસંઘ અને ભાજપ સાથે ઘણો જૂનો સંબંધ છે. નાગપુરના હોવાથી તેઓ આરએસએસ માટે પણ સ્વાભાવિક પસંદગી છે. ફડણવીસે ચૂંટણી પહેલા, દરમિયાન અને પછી RSSના ટોચના નેતાઓ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો.

જ્ઞાતિના સમીકરણોના આધારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે દાવો

આ દરમિયાન ભાજપના નેતાઓના જૂથે જ્ઞાતિ સમીકરણોના આધારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે કેટલાક વધુ દાવેદારોના નામ સામે મૂક્યા છે. રાજકીય વર્તુળો અને મીડિયા રિપોર્ટમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ વિનોદ તાવડે, ચંદ્રશેખર બાવનકુલે, ચંદ્રકાંત પાટીલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલના નામો પર ભારે ચર્ચા થઈ રહી છે. વિનોદ તાવડે, ચંદ્રકાંત પાટીલ અને મુરલીધર મોહોલ મરાઠા સમુદાયના છે. જ્યારે ચંદ્રશેખર બાવનકુળે અન્ય પછાત વર્ગ (OBC)માંથી આવે છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે સંભવિત નામોને કારણે જ્ઞાતિ સમીકરણો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો હવાલો આપીને મરાઠા અને ઓબીસી સમુદાયના આ નેતાઓના સમર્થકોનું કહેવું છે કે, મુખ્યમંત્રીની પસંદગી કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

મુખ્યમંત્રી અંગેની ચર્ચા, મૂંઝવણ અને જાહેરાતમાં વિલંબથી સંઘ નાખુશ

મુખ્યમંત્રી પદને લઈ આ આતંરિક ચર્ચા, મૂંઝવણ અને નામની જાહેરાતમાં વિલંબથી સંઘ પરિવાર (RSS અને તેની સાથે જોડાયેલા તમામ સંગઠનો) નાખુશ હોવાનું કહેવાય છે. હરિયાણાની જેમ મહારાષ્ટ્રમાં પણ સંઘ પરિવારે ચૂંટણીમાં ભાજપને ખુલ્લેઆમ મદદ કરી હતી. મતદાર જાગૃતિ અભિયાન માટે 65 સંગઠનોના 3000થી વધુ સ્વયંસેવકોએ દરેક જિલ્લામાં સંપર્ક કર્યો હતો. આનાથી મહાયુતિને મોટો ચૂંટણી ફાયદો પણ મળ્યો. હવે આવી રાજકીય ગતિરોધથી સામાન્ય લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ તેજ બની છે. જેની અસર આગામી BMC ચૂંટણી પર પડી શકે છે.

મુરલીધર મોહોલે મુખ્યમંત્રી પદ માટેના નામને લઈ કરી સ્પષ્ટતા

મીડિયા રિપોર્ટ અનુસાર આરએસએસના એક વરિષ્ઠ કાર્યકર્તાએ દાવો કર્યો કે, ભાજપ હાઈકમાન્ડ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે મુરલીધર મોહોલે સ્પષ્ટ કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ માત્ર અફવા છે. મોહોલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “અમારી પાર્ટી શિસ્તબદ્ધ છે અને પાર્ટીનો નિર્ણય જ અંતિમ છે. આવા મહત્વના નિર્ણયો સંસદીય બોર્ડ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવે છે અને સોશિયલ મીડિયા ચર્ચાઓના માધ્યમથી નહીં.”

મરાઠા મુખ્યમંત્રી પર ભાર મૂકવાનું કોઈ નક્કર કારણ નથી…

બીજી તરફ ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સંઘ પરિવારને આ વાતથી નિરાશા થઈ રહી છે કે ચર્ચાનું સ્તર આવું ન હોવું જોઈએ. સંઘના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ. સંઘ પરિવાર માને છે કે, મહાયુતિના સાથી પક્ષોમાં શિવસેના અને એનસીપી તરફથી સરકારમાં સામેલ અજિત પવાર અને એકનાથ શિંદે બન્ને મરાઠા સમુદાયમાંથી આવે છે. તેથી ભાજપના કેટલાક નેતાઓ પાસે મરાઠા મુખ્યમંત્રીનો આગ્રહ રાખવાનું કોઈ નક્કર કારણ નથી.

જ્યારે આરએસએસ સાથે જોડાયેલા સંગઠન ‘રાષ્ટ્રીય મુસ્લિમ મંચ’ના એક નેતાએ કહ્યું કે, ભાજપ નેતૃત્વને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ફડણવીસની નિર્ણાયક ભૂમિકાને ધ્યાનમાં રાખીને, તેમને મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં જોઈએ.

Related Articles

Back to top button