વાંસદાના ઉનાઇ-ખંભાલિયા સ્મશાનભૂમિ તરફ જતો રસ્તો વર્ષોથી બિસ્માર બનતા લોકો હાલાકી વેઠી રહ્યા છે

વાંસદા તાલુકાના ઉનાઇ-ખંભાલિયા સ્મશાનભૂમિ તરફ જતો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે પરંતુ વહીવટી તંત્રનું પેટનો પાણી પણ હાલતું નથી. ત્રસ્ત પ્રજામાં વહેલી તકે આ રસ્તો બનાવાય એવી માગ ઉઠી છે. વાંસદા તાલુકાના ઉનાઇ ગામ એક પ્રવાસનધામ તરીકે ઓળખાય છે. તેને અડીને આવેલા ખંભાલિયા સ્મશાનભૂમિમાં જતો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ સ્મશાનભૂમિ તરફ જનાર લોકોએ સ્થાનિક નેતાગીરી સામે રોષ ઠાલવી રહ્યાં છે.
આ વિસ્તારના જ્યોતિબેન ભોઇ, ભાજપ પક્ષના સિણધઈ તાલુકા પંચાયતના સભ્ય છે. વળી અહીં ઉનાઈ નજીકના ચઢાવ ગામના સુમિત્રાબેન પટેલહાલ જિલ્લા પંચાયતના સભ્ય હોય અગાઉ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂકેલા છે છતાં પણ આ તમામ નેતાઓ ગામની પાયાની સમસ્યાઓ સાથે સાથે વર્ષોથી સ્મશાન ભૂમિનો રસ્તો બનાવી શક્યા ન હોવાથી લોકોએ આ નેતાગીરી સામે રોષ ઠાલવી રહ્યાં છે.
સ્થાનિક નેતાઓને રસ્તો તથા મુક્તિધામ બનાવવામાં રસ નથી
ઉનાઇ-ખંભાલિયા ગામમાં સ્મશાનભૂમિના રસ્તાની સમસ્યા વર્ષોથી પડતર છે. સરકાર થકી મુક્તિધામ બનાવવા સરકારી ગ્રાન્ટની જોગવાઈ હોય છે પરંતુ સ્થાનિક નેતાઓને આ રસ્તો તથા ગામનું મુક્તિધામ બનાવામાં કોઈ રસ જ નથી. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તો લોકોની પ્રાથમિક સમસ્યાનનું નિરાકરણ થાય તેમ છે.- જશવંતભાઈ પટેલ, વરિષ્ઠ નાગરિક, ઉનાઇ




