નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા તાલુકા મથકે ઉજવણી કરાશે, 3.5 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને 9.5 કરોડના નવા કામોના ખાતમુહૂર્ત કરાશે
9મી ઓગષ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાશે

9મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ અવસરે નર્મદા જિલ્લાના નાગરિકો માટે 3.5 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને 9.5 કરોડના નવા કામોના ખાતમુહૂર્તની ભેટ અપાશે. જેમાં હાટ બજાર સેલંબા, ચેકડેમ અને સામુહિક જૂથ કૂવા, રોડ રસ્તા, નાળા, પેવર બ્લોક, સંરક્ષણ દિવાલ જેવા કામોનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લામાં દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તા. 9મી ઓગષ્ટના રોજ સવારે 10 કલાકે કાર્યક્રમ યોજાશે. મંત્રીની હાજરીમાં જ ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ પણ યોજાશે. ત્યારબાદ મંત્રી 12 કલાકે વડોદરા ખાતે જવા રવાના થશે.
નાંદોદ તાલુકાનો કાર્યક્રમ રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અઘ્યક્ષસ્થાતામાં રાજપીપળાની શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ કેમ્પસમાં સવારે 10 કલાકે યોજાશે.
ત્યારબાદ મંત્રી બપોરે 12 કલાકે “મારી માટી મારો દેશ” અભિયાનના કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના અકુવાડા ગામે હાજરી આપશે. જ્યાં ગામ લોકો દ્વારા મંત્રીની હાજરીમાં 75 વૃક્ષના રોપાનું વાવેતર પણ કરાશે. બાદમાં મંત્રી નવા રાજુવાડિયાના પ્રગતિશીલ ખેતડૂત અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા સતીશ પટેલના ખેતરની મુલાકાત કરશે. બાદમાં મંત્રી નર્મદા સુગર ફેકટરીની મુલાકાત કરી સાંજે એ અમદાવાદ જવા રવાના થશે.




