નવસારીના સ્ટેશનરી વેપારીઓએ ગંભીર આક્ષેપો સાથે શાળાઓ વિરુદ્ધ મોરચો માંડ્યો

નવસારીના સ્ટેશનરી વેપારીઓએ ગંભીર આક્ષેપો સાથે શાળાઓ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. હોટલ ફન સિટી ખાતે યોજાયેલી ધી નવસારી સ્ટેશનરી મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર એસોસિએશનની પત્રકાર પરિષદમાં એસોસિએશનના પ્રમુખ રિતેશ સામવાનીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી કેટલીક શાળાઓ રાજ્ય બહારના પબ્લિકેશન સાથે મળીને સીધો જ પુસ્તકો, નોટબુક અને અન્ય સ્ટેશનરીનો વેપાર કરી રહી છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સ્થાનિક સ્ટેશનરી વેપારીઓના ધંધામાં 70 ટકા જેટલું નુકસાન થયું છે. વેપારીઓએ આ મુદ્દે સાંસદ, ધારાસભ્ય, શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરી છે, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. વાલીઓને પણ આ વેપારથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
એસોસિએશને પત્રકારો મારફતે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાની અપીલ કરી છે. સ્ટેશનરી એસોસિએશનના સભ્યોએ ચેતવણી આપી છે કે જો શાળાઓ પબ્લિકેશન સાથે મળીને કરી રહેલો આ અનધિકૃત વેપાર બંધ નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




