ઉમરપાડા
ઉમરપાડાના ભીમસીંગભાઈ દીકરીના લગ્નની કંકોત્રી લેવા માંડવી જવાનું કહી નીકળ્યા પણ પાછા ઘરે ન ફર્યા
પરિવારે ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી

ઉમરપાડા ગામના મંદિર ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય ભીમસીંગભાઈ રેનજીભાઈ વસાવા ગુમ થવાની ઘટના સામે આવી છે. તેમની દીકરીના લગ્ન નિમિત્તે કંકોત્રી છપાવવા માટે માંડવી ખાતે આવેલ વિકાસ ઓફસેટમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નથી.
ભીમસીંગભાઈએ કંકોત્રી લેવા જવાનું કહીને ઘર છોડ્યું હતું. લાંબો સમય વીતવા છતાં તેઓ ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં અને સગા-સંબંધીઓના ઘરે તપાસ કરી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં.
આખરે પરિવારજનોએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ થયેલા ભીમસીંગભાઈની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જલ્દીથી ભીમસીંગભાઈને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




