
ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક પણ શિક્ષિત કે અર્ધશિક્ષિત બેરોજગારને સરકારી નોકરી ન મળી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. વાંસદા-ચિખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ આ માહિતી સ્વીકારી છે.
વાંસદા-ચિખલીના ધારાસભ્ય અનંત પટેલે છેલ્લા એક વર્ષમાં સુરત અને નવસારી જિલ્લાના તાલુકા વાર રોજગાર વિનિમય કચેરીમાં કેટલા શિક્ષિત બેરોજગારો નોંધાયા છે તેની માહિતી માંગી હતી. જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત જિલ્લામાં કુલ 26,035 શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જેમાં સુરત સિટીમાં 17,249, બારડોલી તાલુકામાં 2,303, ચોર્યાસી તાલુકામાં 1,803, માંડવી તાલુકામાં 1,576, માંગરોળ તાલુકામાં 746, કામરેજ તાલુકામાં 701, ઓલપાડ તાલુકામાં 493, ઉમરપાડા તાલુકામાં 138, મહુવા તાલુકામાં 678 અને પલસાણા તાલુકામાં 348 બેરોજગારો નોંધાયેલા છે.
મંત્રીએ આગળ જણાવ્યું હતું કે આ બેરોજગારો પૈકી 23,629 શિક્ષિત અને 291 અર્ધશિક્ષિત બેરોજગારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જો કે, આ રોજગારી ખાનગી કે કરાર આધારિત હતી અને સરકારી નોકરીમાં એક પણ ભરતી થઈ ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
આ માહિતી યુવાઓમાં નિરાશા ફેલાવી રહી છે. સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા એક પણ યુવકને સરકારી નોકરી ન મળી હોવાનું સરકારે જ વિધાનસભામાં સ્વીકાર્યું છે. આ સ્થિતિ યુવાઓના રોજગારના પ્રશ્નો પર ગંભીર પ્રશ્ન ઊભો કરે છે અને સરકારી નીતિઓની અસરકારકતા પર પણ પ્રશ્નાર્થ ઊભો કરે છે.
યુવાઓની આ બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે સરકારી સ્તરે ગંભીર પગલાં લેવાની જરૂરિયાત છે, જેથી યુવાઓને સ્થિર અને સુરક્ષિત રોજગારી મળી શકે.




