નર્મદા

રાજપીપળામાં બોગસ કોલેજ વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો ચૈતર વસાવાનું ધરણાં પર બેસવાનું એલાન

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણાં પર બેસવાની જાહેરાત કરી છે. તેમનો આક્ષેપ છે કે મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ 20 વર્ષથી માન્યતા વગર ચાલે છે. આ સાથે તેમણે બોગસ કોલેજ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં અમે ગુજરાત સરકારને અને રાજપીપળા વહીવટી તંત્રને આ બાબતે રજૂઆત કરી હતી. ત્યાર બાદ GMERSના તબીબી અધીક્ષકે એ નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારી સામે આવી હતી.

વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી

તેમણે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ સંસ્થાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, અમદાવાદના નીતિનિયમો અનુસાર, માન્યતા પ્રાપ્ત નથી, જેથી આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે તેમજ અહીંના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી તથા આ વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે પણ ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી.

વિદ્યાર્થીઓની 2.97 લાખ ફી કોલેજમાં જમા

ચૈતર વસાવાએ આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે કોઈપણ પ્રકારની સરકારની પરવાનગી લીધા વગર છેલ્લાં 20 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને અમારો સવાલ છે કે કોની રહેમનજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે? આજે અમારી પાસે 150થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે, જેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે. આટલું જ નહિ, વિદ્યાર્થીઓની 2.97 લાખ જેટલી ફી પણ કોલેજમાં જમા છે. તેમ છતાં કોઈપણ યુનિવર્સિટી કે કોલેજમાં આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવતા નથી.

સરકારી ભરતીઓમાં પણ વિદ્યાર્થીઓને પાત્રતા નહીં

હવે પરિસ્થિતિ એવી છે કે આ વિદ્યાર્થીઓનાં 3 વર્ષ બગડી ગયાં, આ સિવાય તેમને સ્કોલરશિપ પણ નહીં મળે અને સૌથી ગંભીર બાબત એ છે કે આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ લાભ નહીં મળે. છેલ્લા દસ દિવસથી અમે આ મુદ્દા પર ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે માગ કરી રહ્યા છીએ, પરંતુ ગુજરાત સરકાર કે નર્મદા વહીવટી જિલ્લા તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું. એટલા માટે એક દિવસ બાદ એટલે કે આ ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે હું પોતે ધરણાં પર બેસીશ એવી ચીમકી ઉચ્ચારી છે.

બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર

હું પોતે ધારાસભ્ય તરીકે આટલા પુરાવાઓ સાથે આટલી રજૂઆતો કરું છું અને બીજી બાજુ કેટલાક નેતાઓ આ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. અમે આજે કલેક્ટર અને ડીડીઓને મળવા જઈશું અને સવાલ પૂછીશું કે શા માટે આટલા દિવસો સુધી આ કોલેજ પર કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નથી થતી અને વિદ્યાર્થીઓને તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને લાખોને ફી પાછી નથી મળતી તો અમે ધરણાં પર બેસીશું.

Related Articles

Back to top button