અમરેલી

અમરેલી લેટરકાંડ…બંધને પ્રતિસાદ ન મળ્યો

થોડીવાર બંધ રહ્યા બાદ દુકાનો ખુલ્લી

અમરેલીમાં બનાવટી લેટરકાંડમાં પાટીદાર યુવતી પર અત્યાચારના મુદે 24 કલાકના ઉપવાસ કરનાર પરેશ ધાનાણીએ શુક્રવારે ઉપવાસ આંદોલન વધુ 24 કલાક લંબાવ્યું હતું, જે આજે(11 જાન્યુઆરી) 10 વાગ્યે પૂર્ણ થયું છે. પરેશ ધાનાણીએ આજે અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી છે, જેને લઇને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે.

અમરેલી બંધના એલાનને પ્રતિસાદ ન મળ્યો

કોંગ્રેસનેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધના એલાનને વહેલી સવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં ધાનાણીએ ધરણાં કર્યાં હતા એ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી. જોકે બાદમાં દુકાનો ખુલી ગઇ હતી. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો ખુલી જોવા મળી હતી. શહેરમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.

સોમવારે સુરતમાં ધરણા કરીશું: પરેશ ધાનાણી

48 કલાકના ધરણા પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી શહેરમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારીસુરક્ષાને સમર્થન આપ્યું તે બદલ આભાર. આ લડાઈ રક્ષકો સામે નથી પણ કાયદાના જાણકાર લોકો ઈરાદા પૂર્વક જે કાંઇ કરી રહ્યા છે એમની સામે છે. આજે પાયલ ગોટી રાજ્યના પોલીસ વડાને મળી પોતાની આપવીતીની રજૂઆત કરશે. તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નારી શક્તિ આંદોલન સમિતિ આંદોલન કરશે. આવતા સોમવારે અમે સુરતમાં ધરણા પ્રદર્શન કરીશું. હું મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે જલ્દીથી જવાબદારો સામે કડક પગલાં ભરો.

‘SPની કોલ ડિટેઇલની તપાસ થવી જોઈએ’

પરેશ ધાનાણીએ એવી માગ ઉઠાવી હતી કે અમરેલી જિલ્લા પોલીસવડા ઉપરાંત રાજકીય નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અને મેસેજની વિગતો બહાર આવવી જોઇએ અને તેમની કોલ ડિટેઇલની તપાસ થવી જોઇએ.

અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવી

બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ એટલે કે 144નુ જાહેરનામું પ્રસિદ્ધ કરી સમગ્ર જિલ્લામા ચાર કે તેથી વધુ વ્યક્તિ ભેગી થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામું આગામી 22મી તારીખ સુધી અમલમાં રહેશે.

‘ગુજરાતના દરેક જિલ્લામાં નારી સ્વાભિમાન મંચની રચના કરાશે’

પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેરમા નારી સ્વાભિમાન મંચની રચના કરવામા આવશે અને દરેક તાલુકા મથકો પર ન્યાય માટે આંદોલન કરવામાં આવશે. તેમણે ગુજરાતના સાધુ-સંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને પણ લડતનું સમર્થન કરવા અપીલ કરી હતી. આ મુદે આજે બપોર સુધી અડધો દિવસનો બંધ પાળવા વેપારીઓને અપીલ કરી હતી. તેમણે ગુજરાતની મહિલાઓને એવી અપીલ પણ કરી હતી કે તમે જ્યાં પણ રહેતાં હો ત્યાં આજુબાજુનાં ઘરના દરવાજા ખટખટાવી મહિલા સ્વાભિમાન માટે રાજ્યની દરેક મહિલાને જાગૃત કરવા પ્રયાસ કરો. તેમણે લોકોને કોઇ આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો તેને રોકવા પણ અપીલ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ મામલે હવે રાજકારણ ગરમાયું છે.

પાયલ ગોટીએ કેવા આક્ષેપ કર્યા?

પાયલ ગોટીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગઇ પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઊઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું એમ કરી મને પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યાં હતાં. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારાં મમ્મી-પપ્પાને સાચવવા આવ્યાં હતાં અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારાં મમ્મી-પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યાં હતાં અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી કે ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, પોલીસે મને માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી.

Back to top button