
- લોકસભા ચુંટણી પહેલા હવે ગુજરાતની 26 સીટોને લઈ ભાજપ એક્શન મોડમાં
- ભાજપ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગ
- રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણુંક
લોકસભા ચુંટણી પહેલા હવે ગુજરાતની 26 સીટોને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સૂત્ર “અબકી બાર 400 કે પાર” ને સાર્થક કરવા હવે પાર્ટી સંગઠન મેદાને પડ્યું છે. જેના ભાગરૂપે હવે ભાજપ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગની કવાયત શરૂ કરવામાં આવી છે. જેને લઈ ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરી છે.
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જાળવી રાખવા માટે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂકમાં એકથી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે અહીં રસપ્રદ વાત તો એ છે કે, ભાજપે ફરી એકવાર જૂના જોગીઓને મોટી જવાબદારી સોંપી છે. આ નેતાઓમાં એવા પણ કેટલાક નેતાઓ છે કે, જેમની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી.
2014 થી 2019 સુધી ભાજપનો થયો છે પ્રચંડ વિજય
મહત્વનું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા તે લોકસભા ચૂંટણીથી લઈ અત્યાર સુધી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જોકે હવે જ્યારે ભાજપ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર પાછા ફરવા માંગે છે ત્યારે પાર્ટી PM મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી. જેના ભાગરૂપે પાર્ટીએ અમુક જૂના જોગીઓની સાથે આ પ્રભારીઓની નિમણૂક કરી છે.
વિધાનસભામાં પણ ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન
નોંધનિય છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભાજપે 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી.પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતી હોવાની સાથે સાથે ગુજરાતની લોકસભાની 22 સીટો પર પાર્ટી ઘણી મજબૂત છે. જોકે અહીં એક વાત એ પણ છે કે, આ વખતે અનેક કારણો સાથે પાટણ, જૂનાગઢ, અમરેલી અને ભરૂચની બેઠકો પર પાર્ટીને કોંગ્રેસ તરફથી પડકારનો સામનો કરવો પડે તેવી ધારણા છે. જોકે ભાજપ આ બેઠકો માટે અલગથી રણનીતિ પણ બનાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
2024માં 400ના લક્ષ્યાંકને હાંસલ કરવા BJP સજ્જ
આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકાર લાવવા પાર્ટી સજ્જ છે. હકીકતમાં ભાજપ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, 400ના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાતમાં એક પણ બેઠક ઓછી ન રહે. નોંધનિય છે કે, 2009ની ચૂંટણીમાં ભાજપ પાસે 15 લોકસભા અને કોંગ્રેસ પાસે 11 લોકસભા બેઠકો હતી, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી.
| ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈ | ક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ |
| બાબુભાઈ જેબલિયા | મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ |
| કે.સી.પટેલ | ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ |
| નરહરી અમીન | આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ |
| પ્રદિપસિંહ જાડેજા | વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ |
| ડો.જ્યોતિબેન પંડ્યા | સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ |
| ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ |
| આર.સી.ફળદુ | જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ |
| અમિત ઠાકર (ધારાસભ્ય) | કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ |




