નેત્રંગના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજૂરોને એક મૃતદેહ નજરે પડયો હતો. જેથી ખેતમજુરે નેત્રંગ પોલીસનો સંપર્ક કરીને જાણ કરતાં તાત્કાલિક પોલીસ કમઁચારી ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં વાલીયા તાલુકાના ડુંગરી ગામના 24 વર્ષીય મેહુલ ઉફઁ અનિલ ચંપક વસાવાનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણી યુવાનના મૃતદેહને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અથઁ ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી 24 વષીઁય યુવાનનો મૃતદેહ મળતા યુવાને આત્મહત્યા કરી કે યુવાનની હત્યા કરવામાં આવી જે રહસ્ય હાલ અકબંધ છે. યુવાનના મૃતદેહ પાસેથી એક મોટર સાયકલ પોલીસે કબ્જે કર્યું છે. અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડૉ.કુશલ ઓઝા અને પોલીસ કમઁચારી ઘટનાસ્થળની મુલાકાત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી 24 વષીઁય યુવાનનો મૃતદેહ મળી બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.




