
ડાંગ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ ડો. કે સી.પટેલ હાજર રહ્યા હતા. દર વર્ષે દિવાળી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યકમ યોજાય છે. ડાંગ જિલ્લામાં પણ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રત્નાકરજીએ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના લોકો માટેની વિવિધ યોજનાની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડાને વિશેષ સન્માન આપ્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસ સરકારે માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે. વડાપ્રધાને મિલેટ વર્ષની ઉજવણી કરીને ડાંગના આદિવાસી ખેડૂતો દ્વારા તૈયાર કરાતા પરંપરાગત ધાન રાગી એટલે કે નાગલીને પણ દુનિયાભરમાં પ્રચલિત કરી તેમના લાભની યોજના બનાવી છે.




