એકલવ્ય શાળાઓમાં ભણતા બાળકોના ભવિષ્ય બાબતે ચૈતર વસાવાની મુખ્યમંત્રીને રજૂઆત

આદિવાસી વિસ્તારોની તમામ 47 એકલવ્ય મોડેલ સ્કુલોમાં ધોરણ: 9/10/11/12 ગુજરાતી મિડિયમમાં NESTS દ્વારા ભરતી કરેલ શિક્ષકોને ભણાવવા અને વિદ્યાર્થીઓને ભણવામાં પડતી તકલીફો મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે.
ચૈતર વસાવાએ જણાવ્યું છે કે, ભારત સરકારની આદિજાતિ મંત્રાલય હેઠળની એક સ્વાયત સંસ્થા દ્રારા ESSE-2023 હેઠળ ચાલતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના ભરતી અભિયાન હેઠળ CBSE દ્રારા લેવાયેલ લેખિત પરિક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોને ઈ.એમ.આર.એસ. શાળાઓમાં હાજર કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં પ્રિન્સીપાલ, પી.જી.ટી., અકાઉન્ટન્ટ, જે.એસ.આર. લેબ આસીસ્ટન્ટ મળી 4062 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. તેમાંથી ગુજરાતમાં 500 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે.
એકલવ્ય શાળાઓમાં ભણતા બાળકોનું ભણતર વહીવટી ખામીને લીધે અવિચારી પગલાં ભરવાથી વારંવાર ખોરવાઈ રહ્યું છે. વર્તમાન સરકાર દ્રારા CBSE અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે. તે પણ મહદઅંશે ખામીયુક્ત અવિચારી પગલું લેવાયું છે. વર્ષોથી આદિવાસી વિસ્તારના પછાત ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા સંપૂર્ણ સુવિધાઓ સાથેની નિવાસી શાળાઓ (EMRS)એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલો શરૂ કરવામાં આવી છે.
નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. તેમ છતાં એકલવ્ય મોડલ સ્કૂલોની ગુજરાતી માધ્યમની શાળાઓમાં CBSE અંગ્રેજી માધ્યમ શરૂ કરી દીધું છે. આદિવાસી બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે તે ખુબ સારી વાત છે, પરંતુ ગુજરાતી માધ્યમની શાળાઓને ઓચિંતા અંગ્રેજી માધ્યમમાં ફેરવવાથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થયેલ છે.
આ શાળાઓ આદિવાસી પછાત બાળકો માટે છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતી વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવામાં આવેલ નથી.અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકો એકલવ્ય શાળામાં ભણતા બાળકોથી, તેમની માતૃભાષા, ભૌગોલિક પરિસ્થિતિ, રહેણીકરણી વગેરેથી પરિચિત નથી.તેઓને બાળકોને ગુજરાતી ભાષામાં ભણાવતા કે વાતચીત કરતાં પણ આવડતું નથી.બહારથી આવનાર શિક્ષક, શિક્ષણમાં અને બાળકોના ઘડતરમાં ન્યાય આપી શકશે નહિ.અખતરા કરીને બાળકોને હેરાન કરવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે.બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.એકલવ્ય મોડેલ સ્કૂલ પુનિયાવાડ ખાતે ત્રણ દિવસ અગાઉ 116 જેટલા બાળકોને ફૂડ પોયઝન થયું હતું.આજે પણ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઇ રહ્યા છે.અમારી આ શાળાની મુલાકાત દરમિયાન કેટલીક ગંભીર ખામીઓ બહાર આવી છે.રસોડામાં ફાયર સેફટી નથી, જે વ્યક્તિનું કેટરર્સ નું ટેન્ડર મંજુર થયું છે તે મહેસાણાના છે, જાણવા મળ્યું છે કે દર 15 દિવસે એક વાર શાકભાજીનો ટેમ્પો આવે છે.અને જે શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે એ સડેલી શાકભાજી હોય છે, જેના કારણે બાળકો બીમાર પડ્યા છે.આ સ્કુલમાં 12 જેટલા શિક્ષકો, 1 વોર્ડન, 1 ક્લાર્ક ની ભરતી થયેલ છે આ તમામ ને ગુજરાતી બોલતા નથી આવડતું.વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતુ નથી, આ સ્કુલમાં ધોરણ: 9,10,11, 12 તો ગુજરાતી મીડીયમ છે. તો બાળકોને કઈ રીતે ભણાવશે ?
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલ તમામ એકલવ્ય મોડેલ શાળાઓમાં આવી ગંભીર સમસ્યાઓ છે, અંબાજી ખાતે આવેલ એકલવ્ય શાળામાં તો બાળકોને ગુણવત્તાહીન ભોજન અને અને વિવિધ પ્રશ્નોને લઇ ધારણા પર બેસવાની ફરજ પડી છે.ત્યારે આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો, દરેક શાળાઓનાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે.જેથી વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરશો.




