માંગરોળ

માંગરોળના વેલાછા ગામે પાવરગ્રીડ વીજ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો

માંગરોળ તાલુકાના વેલાછા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી પાવરગ્રીડ વીજ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોની પરમિશન વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતાં ખેડૂતોએ હંગામો કર્યો હતો. ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. ખેડૂતો અને પાવર ગ્રીડના અધિકારીઓ વચ્ચે તું તું મે મે થયું હતું.

માંગરોળના વેલાચા ગામે ગત રોજ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. કચ્છના હાવડાથી નવસારી સુધી નવી વીજલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની કોઈપણ પ્રકારની પરમિશન વિના ખેતરોમાં કામગીરી શરૂ કરી દેવાતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

પોલીસ બંદોબસ્ત સાથે પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં કામગરી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયાં હતાં અને કામ અટકવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ લાઈન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજરોજ ફરી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ખેતરમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો.

પાવર ગ્રીડ વીજ લાઈન પ્રોજેક્ટથી ખેડૂતોની મહામુલી ફળદ્રુપ જમીન ખરાબ થઈ રહી છે, સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને નુકશાનીનું યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નથી. પાવર ગ્રીડ વીજ લાઈન પ્રોજેક્ટથી ખેડૂતોને મોટું નુકશાન છે. જૂના કાયદા હેઠળ વળતર આપવાને લઈ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા સામે લડત લડી રહ્યા છે. આજે વધુ એક ગામમાં એકવાર ખેડૂતોને જાણ કર્યા વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતાં ખેડૂતો વિફર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માગ હતી કે, નવા કાયદા મુજબ સર્વે કરી ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવામાં આવે.

Related Articles

Back to top button