ગુણસદા ગામે 120 જેટલા ભૂલકાઓ આજે પણ જીવનના જોખમે ભણી રહ્યા છે
139 વર્ષ જુની હોસ્ટેલની દશા સુધારવા આપેલી સુચના તંત્ર ઘોળીને પી ગયું

સોનગઢના ગુણસદા ગામે ગત ઓગસ્ટ 2023 માં રાજ્યના મુખ્યમંત્રી આવ્યાં હતાં ત્યારે તેમણે એક બિસમાર હોસ્ટેલની મુલાકાત લીધી હતી.ત્યારે તેની દિશા અને દશા સુધારવા માટે આદેશ આપ્યો હતો. જો કે આ વાતને દોઢ વર્ષનો સમયગાળો વીતી ગયો છે છતાં આજે પણ આદિવાસી બાળકો એ જ હોસ્ટેલમાં અને એ જ સ્થિતિમાં નિવાસ કરી રહ્યા છે. ગુણસદા ગામના બરડીફળિયા માં તાપી જિલ્લા પંચાયત સંચાલિત એક હોસ્ટેલ આવેલ છે જેમાં કુલ 120 જેટલાં નાના ભૂલકાં નિવાસ કરે છે.આ હોસ્ટેલનું મકાન અંદાજિત 139 વર્ષ જૂનું છે. આઝાદી પહેલાં ગાયકવાડ સરકાર દ્વારા આદિવાસી બાળકોને ઘરઆંગણે શિક્ષણ મળી રહે તે માટે સન 1885માં આરાધના કુમાર છાત્રાલય બનાવવામાં આવી હતી. જો કે આ હોસ્ટેલના મકાનની આવરદા પુરી થઈ ગઈ હોય એની દીવાલમાં ગાબડાં પડી ગયા છે અને છત પર ગોઠવેલા નળીયા પણ તૂટી ગયા છે. આવી જગ્યે પ્લાસ્ટિક પાથરી કામ ચલાવવું પડે છે.


