ચીકટીયાથી ઇસદરને જોડતો રસ્તો નહીં બનતા લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
છેલ્લા બાર વર્ષથી રસ્તો બિસ્માર છતા નવો બનાવવાની તસ્દી લેવાઇ નથી

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચીકટીયા ગામથી ઈસદર ગામ તરફ જતા રસ્તાની હાલત અતિશય બિસ્માર થઈ ગઈ છે. છેલ્લા 11-12 વર્ષથી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આહવા તાલુકાનાં ચીકટીયા ગામથી ઈસદર ગામ તરફ જતા રસ્તાનું અંતર 5 કિલોમીટર જેટલું છે પરંતુ રસ્તાની બિસ્માર હાલત હોવાને કારણે વાહનચાલકોએ ભારે જહેમતથી રસ્તા પરથી પસાર થવુ પડે છે. 5 કિલોમીટરનું અંતર હોવા છતાં પણ વાહન ચાલકોને રસ્તો ક્રોસ કરતા 1 કલાક જેટલો સમય લાગી જતો હોય છે તેમજ આરોગ્યની કે અન્ય કોઈપણ ઈમરજન્સી સેવાની જરૂર પડે તો સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ જેવી સુવિધા માટે પણ લોકોએ વલખા મારવા પડે છે તેમજ શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, ધંધાધારી લોકો, ખેડૂતો વગેરેને પણ આવવા જવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે શું તંત્ર દ્વારા કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવામાં આવી રહી છે ? 10 વર્ષ પૂર્વે આ માર્ગમાં યોગ્ય કામગીરી નહીં કરીને માત્રને માત્ર ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ? આવા અનેક પ્રકારના સવાલ સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા છે.
તેમ છતા તંત્ર પોતાનું બેધ્યાનપણાનું વલણ છોડતી જ નથી ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાનો સમારકામ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. {ચીકટીયાથી ઇસદરને જોડતા રસ્તાની દૂર્દશા.


