વાંસદા પોલીસે માર માર્યાના આક્ષેપ સાથેનો યુવકનો સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો થયો

વાંસદામાં રહેતા ધનરાજ વૈષ્ણવ કારમાં બહેન અને માતાને લઈને ઘરે આવ્યા હતા અને ગાડીમાંથી માતા તથા બહેન ઉતાર્યા હતા. બે મિનિટ માટે કાર ઘર બહાર ઊભી રાખી હતી. દરમિયાન પોલીસકર્મીઓ તેને લઈ ગયા હતા તેમજ તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો એવો આક્ષેપ સાથે ધનરાજ વૈષ્ણવે સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કર્યો હતો.
બીજી તરફ પોલીસે એફઆઇઆર નોંધી હતી. તેમાં જણાવ્યાનુસાર વાંસદા પીએસઆઇ એ.એચ.પટેલ પોલીસકર્મીઓ સાથે ટાઉન બીટ વિસ્તારમાં રાજય સેવક તરીકેની કાયદેસરની ફરજના ભાગરૂપે ફૂટ પટ્રોલિંગમાં હતા. દરમિયાન વાંસદા મેઇન બજાર સત્યમ ફૂટવેરની સામે રસ્તા પર કાર (નં. જીજે-21-બીસી-4352)ના ચાલક ધનરાજભાઈ વૈષ્ણવ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે કાર રાખી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા એલ.આર.પો.કો. કાનાભાઈ ચૌધરીએ ઘનરાજને તેની કાર પોલીસ સ્ટેશનમાં લઇ જવા જણાવ્યું હતું. એ સમયે ઘનરાજે કાનાભાઈને કહ્યું કે,”મારી ગાડી અહીંથી નહીં હટે, હું પોલીસ સ્ટેશનમાં મારી આ ગાડી નહી લઈ જાવ, તારાથી થાય તે કરી લે, હવે હું તને બતાવું કે હું કોણ છું’ તેમ ધમકી આપી પોતાની ગાડી પૂરઝડપે બજારમાં ફરતા લોકોની જીંદગી જીખમમાં મુકી તે રીતે વાંસદા ચંપાવાડી તરફ જતા રસ્તાએ હંકારતા મેડિકલ જનરલ સ્ટોર્સની સામે રસ્તા પર પોલીસકર્મી કાનાભાઈએ ગાડી ઉભી રખાવી હતી. અન્ય પોલીસકર્મીઓ સાથે ધનરાજને પીસીઆરમાં વચ્ચેની સીટ ઉપર બેસાડવાની કોશીશ કરતા હતા તે દરમિયાન વાહનના દરવાજા સાથે લગાડેલ લોખંડની જાળી તેના મોઢાના ભાગે દબાતા તેને નીચેના હોઠ ઉપર પોતાનો દાંત વાંગતા લોહી નીકળ્યું હતું. ધનરાજભાઈ વૈષ્ણવે એલઆર પોકો કાનાભાઈ ચૌધરીની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ એફઆઇર અને ધનરાજ વૈષ્ણવના વહેતો થયેલા વીડિયોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
આક્ષેપ તદન ખોટા છે યુવાને કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે. આ યુવાને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું છે તેમજ યુવાનને પોલીસે માર માર્યો નથી. યુવાને પોલીસકર્મીઓ સાથે કરેલા ગેરવર્તનના ફૂટેજ અમારી પાસે છે. જેમાં યુવાન પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યો છે. > એન.એમ.આહીર, પીઆઇ, વાંસદા પોલીસે ગુનેગાર બનાવી ખોટી ફરિયાદ કરી છે પીએસઆઇ અને પોલીસ કર્મીઓએ મને માર માર્યો છે. મને ગુનેગાર બનાવી મારી સામે ખોટી ફરિયાદ કરી છે. જીપની બારી પર દાંત મારી લોહીલુહાણ થવાની વાત તદ્દન ખોટી છે તેમજ હું કોઈ મોટો આતંકવાદી હોય એમ નવસારી સિવિલમાં મારી સામે બે પોલીસકર્મી બેસાડી દેવાયા છે. >ધનરાજ વૈષ્ણવ, વાંસદા




